- એક ટકા વધારાનો ટેક્સ દૂર કરવા અને રાજ્યોને પાંચ વર્ષ સુધી વળતરની જોગવાઇઓ સામેલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨
સરકારે આજે ૧ ટકા વધારાનો ટેક્સ દૂર કરવા અને રાજ્યોને નુકસાન થવાના
કેસોમાં પાંચ વર્ષ સુધી વળતર આપવા સહિતના સત્તાવાર સુધારાઓ સાથેના જીએસટી
બિલની નકલો સાંસદોને આપી હતી. સરકાર આવતીકાલે રાજ્યસભામાં લાંબા સમયથી
વિલંબિત જીએસટી બિલને ચર્ચા માટે રજૂ કરશે.
નવી જોગવાઇઓ સાથેના જીએસટી બંધારણીય સુધારા બિલની નકલો આજે સાંસદોને
વહેંચવામાં આવી હતી. આ સાથે જ રાજ્યસભામાં બે વર્ષથી જીએસટી બિલનો વિરોધ
કરી રહેલી કોંગ્રેસની અમુક માગો સરકારે સ્વીકારી લીધી છે.
ભવિષ્યમાં જીએસટી અંગે ઉભા થનારા વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના
નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવાની માગના સંદર્ભમાં
સુધારા બિલમાં જીએસટી કાઉન્સીલની રચના કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
જીએસટી બિલ રાજ્યસભામાં પસાર કરાવવા જેટલી કોંગ્રેસ, સપા, બીજેડી,
તૃણમુલ અને આરજેડીના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. મે, ૨૦૧૫માં જ લોકસભામાં
આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
જો સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પસાર થઇ જશે તો સમગ્ર
દેશમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટી અને રાજ્યોના વેટ અને સેલ્સ ટેક્સ સહિતના
તમામ અપ્રત્યક્ષ ટેક્સ નાબૂદ થઇ જશે.
આ અગાઉ સપાના નરેશ અગ્રવાલે રાજ્યસભામાં જીએસટી બિલની નકલો ન મળી હોવાનો
મુદ્દો ઉઠાવ્યો હતો. આ બિલને પસાર કરાવવા માટે સંસદના બે તૃંતિયાશ સાંસદો
અને દેશના ૫૦ ટકા રાજ્યોની મંજૂરી જરૃરી છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-mps-subsequently-revised-copies-of-the-gst-bill-to-be-introduced-in-the-rajya-sabha-today

ધરમપુર, મંગળવાર
ધરમપુરમાં સોમવારનાં રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીમાં ૧૨
ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધરમપુર નગર તથા આસપાસના ગ્રામ્ય જીવનને નુકસાનની
ભારે અસર પહોંચતા તંત્ર દોડતું થઇ ગયું હતું. વિવિધ વિસ્તારમાંથી ૩૦૦થી
વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. એક વૃધ્ધાનું મોત થયું છે. જ્યારે એક
યુવાન તણાયો હતો.
ગતરાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે શરૃ થયેલા વરસાદના કારણે
ધરમપુરમાં ૪૦૦ જેટલા નગરજનો અસરગ્રસ્ત બન્યા હતાં. પાલિકા, મામલતદાર તથા
પ્રાંત અધિકારી, પોલીસતંત્ર રાત્રિના સમયથી દોડતું જણાયું હતું. કાચા
મકાનમાં રહેતા તમામ આ વિસ્તારના નગરજનોના જીવ પડીકે બંધાયા હતાં. તંત્ર
દ્વારા રાત્રે જ આવા ૩૦૦ જેટલા અસરગ્રસ્તોનું નજીકમાં સી.કે.પી. સમાજની
વાડીમાં તાત્કાલિક સ્થળાંતર કરાયું હતુ. તાલુકામાં ૭૦ જેટલા લાઇટપોલ તૂટી
પડવાના અહેવાલો મળ્યા છે. વલસાડ-ધરમપુર રોડ ઉપર વૃક્ષ તૂટી પડતા રાત્રિના
સમયથી સવારે ૧૦-૩૦ સુધી વલાસાડ-ધરમપુર રોડ બંધ રહેતા લોકો અટવાયા હતા.
ધરમપુર તાલુકાના આંબોસી ભવઢાણ ગામના ૬૨ વર્ષીય મહિલા ચીમનાબેન રામુભાઇ
મોર્યા સવારમાં ૫-૩૦ કલાકે કરાડપાડા ફળિયાનાં ડુંગર ઉપર કુુદરતી હાજતે જતા
હતા ત્યારે ડુંગર ઉપર ચઢતી વેળા પગ લપસતા સીધા ધસમસતી ખાડીમાં ખાબક્યા
હતાં, જે ખાડીનું પાણી કરંજવેરી થઇ આસુરા તાન નદીમાં નીકળતા સવારને ૯-૩૦
કલાકે તેમની લાશ મળી હતી. પોલીસતંત્રએ વોટસએપનાં માધ્યમથી ઓળખ કરી હતી. આજ
ગામનાં માધુભાઇ બાપજીભાઇ દેશમુખની મોટરસાયકલ તથા શાંતિભાઇ લંગીયાભાઇ
મોર્યાની જનરલ સ્પેસની દુકાન પણ તાન નદીના પાણીમાં તણાઇ ગઇ હતી.
આ ઉપરાંત તાલુકાનાં ચોંઢા ગામના ૩૧ વર્ષીય યુવાન લલીન રજલુભાઇ મહાલા પણ
ચેકડેમ ઉપરથી તણાયા હોવાની માહિતી સરપંચ પરભુભાઇ ચવધરીએ કરતાં યુવાનની
શોધખોળ તંત્ર દ્વારા કરાઇ હતી. તાલુકાના અન્ય ગામોમાં પાણીમાં તણાઇ હોવાથી
સાથે સાથે નાળા તૂટવા, વૃક્ષો અને વિજળીનાં થાંભલાઓ તૂટવા, ઘરના પતરા,
સાગના પાટીયા, માલસામાન, અનાજ સહિતની વસ્તુઓ પાણીનાં પ્રવાહમાં તણાતા
જનજીવન અસરગ્રસ્ત બન્યું છે.
ધરમપુરના કરંજવેરીથી વૃદ્ધની લાશ મળી
વાપી, મંગળવાર
ધરમપુર નજીકના કરંજવેરી ગામે માન નદી કિનારે આજરોજ અજાણ્યા ૬૫ વર્ષિય
વૃદ્ધની લાશ તણાઈ આવી હતી. જેથી લોકોએ ઘટના સ્થળે પહોંચી ધરમપુર પોલીસને
જાણ કરી હતી. પોલીસે અજાણ્યા વૃદ્ધની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે
મોકલી તેની ઓળખ કરવા કવાયત આદરી હતી.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat-dharampur-town-migration-ax-300-deaths-was-young-minded